અમદાવાદ સ્ટેશન પર 3 મહિના સ્ટોપેજ બંધ
અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યની અસર હવે ટ્રેનના સંચાલન પર પણ જોવા મળી રહી છે. જોધપુર–હડપસર–જોધપુર દૈનિક એક્સપ્રેસ ટ્રેન નંબર 20495/20496નું અમદાવાદ સ્ટેશન પરનું સ્ટોપેજ અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યું છે. 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી આ ટ્રેન અમદાવાદની જગ્યાએ સાબરમતી સ્ટેશન પર રોકાશે.
સાબરમતી બન્યું નવું સ્ટોપેજ
પ્લેટફોર્મની મર્યાદિત ઉપલબ્ધતા અને અમદાવાદ સ્ટેશનના પુનર્વિકાસ કાર્યને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અમદાવાદથી આ ટ્રેનમાં મુસાફરી કરતા અથવા અમદાવાદ આવતા મુસાફરોએ આગામી ત્રણ મહિના દરમિયાન સાબરમતી સ્ટેશનનું ધ્યાન રાખવું પડશે.

જોધપુરથી આવતી ટ્રેનનો સમય
ટ્રેન નંબર 20495 જોધપુર–હડપસર એક્સપ્રેસ જોધપુરથી રવાના થયા બાદ સાબરમતી સ્ટેશન પર સવારે 5:20 વાગ્યે પહોંચશે. અહીં 10 મિનિટના સ્ટોપેજ બાદ સવારે 5:30 વાગ્યે ટ્રેન આગળ રવાના થશે.
હડપસરથી પરત આવતી ટ્રેન
બીજી તરફ ટ્રેન નંબર 20496 હડપસર–જોધપુર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર સવારે 7:20 વાગ્યે પહોંચશે અને 10 મિનિટના સ્ટોપેજ બાદ સવારે 7:30 વાગ્યે આગળ રવાના થશે.

મુસાફરો માટે ખાસ સૂચના
આ ફેરફાર 21 ઓગસ્ટથી 21 નવેમ્બર 2026 સુધી લાગુ રહેશે. તેથી આ સમયગાળા દરમિયાન જોધપુર–હડપસર એક્સપ્રેસમાં મુસાફરી કરનારા અમદાવાદના મુસાફરોએ ટિકિટ બુક કરાવતી અને મુસાફરી કરતી વખતે સાબરમતી સ્ટેશનના સ્ટોપેજની ખાસ નોંધ લેવી.

