ભેળસેળ અંગે સોશિયલ મીડિયા પર અનેક દાવા

તાજેતરના વર્ષોમાં સોશિયલ મીડિયા પર 'પ્લાસ્ટિકના ચોખા' અંગે અનેક વીડિયો અને દાવાઓ વાયરલ થતા રહે છે. જોકે, આવા તમામ દાવા દરેક વખતે સાચા હોય એવું જરૂરી નથી. જો તમને ખરીદેલા ચોખાની ગુણવત્તા અંગે શંકા હોય, તો કેટલીક સરળ રીતોથી તેની પ્રાથમિક તપાસ કરી શકાય છે.

આ રીતે કરો પ્રાથમિક તપાસ

પાણીનો ટેસ્ટ: એક ગ્લાસ પાણીમાં થોડા ચોખા નાખો. સામાન્ય રીતે અસલી ચોખા ભારે હોવાથી તળિયે બેસી જાય છે, જ્યારે કેટલાક હળવા અથવા અન્ય પ્રકારના કણો ઉપર રહી શકે છે. જોકે માત્ર આ ટેસ્ટના આધારે અંતિમ નિર્ણય કરવો યોગ્ય નથી.

સળગાવવાનો ટેસ્ટ: થોડા ચોખાને સળગાવીને જોવો. જો અસામાન્ય રીતે પ્લાસ્ટિક જેવી તીવ્ર ગંધ આવે તો શંકા થઈ શકે છે, પરંતુ આ પણ કોઈ વૈજ્ઞાનિક રીતે અંતિમ પરીક્ષણ નથી.

ગરમ તેલનો ટેસ્ટ: ગરમ તેલમાં થોડા દાણા નાખીને જોવામાં આવે છે. જો દાણા અસામાન્ય રીતે પીગળવા લાગે અથવા ચોંટવા લાગે તો વધુ તપાસની જરૂર પડી શકે છે.

WhatsApp Image 2026-07-15 at 12.03.44 AM.jpeg

દાણા જોઈને પણ મળી શકે સંકેત

અસલી ચોખાના દરેક દાણા થોડા અલગ કદના કે થોડા તૂટેલા હોઈ શકે છે. જ્યારે ખૂબ જ એકસરખા, અતિ ચમકીલા અને અસામાન્ય દેખાતા દાણા હોય તો તેની ગુણવત્તા અંગે શંકા થઈ શકે છે. જોકે આ માત્ર પ્રાથમિક અવલોકન છે.

WhatsApp Image 2026-07-15 at 12.04.50 AM.jpeg

પકાવ્યા પછી પણ કરો ચેક

સામાન્ય રીતે સારા ગુણવત્તાના ચોખા યોગ્ય સમયમાં રંધાઈ જાય છે અને દાણા સારી રીતે ફૂલે છે. જો ચોખા લાંબા સમય સુધી રંધાતા ન હોય અથવા તેની બનાવટ અસામાન્ય લાગે તો તેની ગુણવત્તા અંગે વધુ તપાસ કરવી યોગ્ય રહેશે.

મહત્વની નોંધ: માત્ર ઘરેલુ ટેસ્ટના આધારે ચોખાને 'પ્લાસ્ટિકના' અથવા 'નકલી' હોવાનું નિશ્ચિત કહી શકાય નહીં. જો ભેળસેળની ગંભીર શંકા હોય તો નમૂનો સરકારી ફૂડ ટેસ્ટિંગ લેબમાં તપાસ માટે મોકલવો સૌથી વિશ્વસનીય વિકલ્પ છે.