અમરનાથ યાત્રા વચ્ચે વાદળ ફાટતાં અચાનક પૂર
જમ્મુ-કાશ્મીરના પહેલગામ અને શાંગુસ વિસ્તારમાં અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવાની ઘટનાએ અચાનક પૂરની સ્થિતિ સર્જી છે. ભારે વરસાદ બાદ અવુરા અને અર્પટ ચિત્રગુલ-શાંગુસ પ્રવાહમાં પાણીનું સ્તર ઝડપથી વધતા અનેક હોટલો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું હતું.

છ હોટલો પૂરથી પ્રભાવિત, પ્રવાસીઓ સુરક્ષિત ખસેડાયા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનંતનાગ જિલ્લાના અવુરા, દેહવાથુ જંગલ વિસ્તાર અને ચિત્રગુલના ઉપરવાસમાં વાદળ ફાટતાં અચાનક પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો હતો. તેના કારણે ઓછામાં ઓછી છ હોટલો પૂરથી પ્રભાવિત થઈ હતી. જોકે, હોટલોમાં રોકાયેલા તમામ પ્રવાસીઓને સમયસર બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

WhatsApp Image 2026-07-12 at 6.44.06 PM.jpeg

ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી, જાનહાનિનો અહેવાલ નહીં

પૂરના કારણે સ્થાનિક રહેણાંક વિસ્તારોના અનેક ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું હતું. હાલ સુધી કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. વહીવટી તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.

બચાવ ટીમો એલર્ટ, પરિસ્થિતિ પર સતત નજર

હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. બચાવ અને દેખરેખ ટીમો સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં ઝડપથી કાર્યવાહી કરી શકાય.