ભાજપની નવી ટીમ જાહેર, અનેક ચોંકાવનારા નામો

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબિને સાત મહિનાના વિલંબ બાદ 17 ઓગસ્ટે નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે. નવી ટીમમાં અનુભવી નેતાઓ સાથે નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી વધુ ચર્ચા સ્મૃતિ ઈરાની, વસુંધરા રાજે અને રામ માધવને મળેલી જવાબદારીની થઈ રહી છે. પાર્ટીએ જાહેર કરેલા સંગઠનાત્મક માળખામાં કુલ 65 રાષ્ટ્રીય પદાધિકારીઓના નામ સામે આવ્યા છે.

Screenshot 2026-08-17 225638.png

સ્મૃતિ ઈરાનીનું સંગઠનમાં મોટું કમબેક

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને અમેઠીના પૂર્વ સાંસદ સ્મૃતિ ઈરાનીને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે હાર્યા બાદ હવે તેમને ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં મહત્વની જવાબદારી મળી છે. તેમની નવી ભૂમિકાને ઉત્તર પ્રદેશમાં આગામી રાજકીય પડકારોની દૃષ્ટિએ પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Screenshot 2026-08-17 225653.png

વસુંધરા રાજે અને રામ માધવને પણ મહત્વની જવાબદારી

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમની સાથે ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવને પણ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ ઉત્તરાખંડ મુખ્યમંત્રી તીરથ સિંહ રાવત અને બૈજયંત પાંડા સહિતના નેતાઓને પણ ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે.

Screenshot 2026-08-17 225659.png

આઠ રાષ્ટ્રીય મહામંત્રીઓની નિમણૂક

નવી ટીમમાં કુલ આઠ રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે. તેમાં સુનિલ બંસલ, વિનોદ તાવડે, બિપ્લબ દેબ, સ્મૃતિ ઈરાની, સતીશ પુનિયા, ગજેન્દ્ર પટેલ, હરીશ દ્વિવેદી અને સંજય ભાટિયાનો સમાવેશ થાય છે. વિનોદ તાવડેને ફરી સંગઠનમાં મહત્વની જવાબદારી આપવામાં આવી છે, જ્યારે બી.એલ. સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન) તરીકે યથાવત્ રહેશે.

Screenshot 2026-08-17 225709.png

પીયૂષ ગોયલને પણ સંગઠનમાં મહત્વનું પદ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને રાષ્ટ્રીય ખજાનચી બનાવવામાં આવ્યા છે. તેઓ અગાઉ આ જવાબદારી સંભાળી ચૂક્યા છે અને હવે ફરી સંગઠનના નાણાકીય માળખામાં મહત્વની ભૂમિકામાં આવ્યા છે. નવી ટીમમાં અન્ય સંગઠનાત્મક પદો પર પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

Screenshot 2026-08-17 225714.png

ગુજરાતના 4 નેતાઓને સ્થાન

નીતિન નબિનની નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને મહત્વપૂર્ણ જવાબદારી મળી છે. જેમાં વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું છે. રોહન ગુપ્તાને રાષ્ટ્રીય મંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને ભારતીય જનતા યુવા મોરચા (BJYM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી અન્ય એક નેતા જગદીશ પટેલને પણ રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું છે.

ગુજરાત માટે શું સંદેશ?

ભાજપની નવી ટીમમાં ગુજરાતના ચાર નેતાઓને સ્થાન મળવું સંગઠનાત્મક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને હેમાંગ જોશીને BJYMના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવતા ભાજપના યુવા સંગઠનમાં ગુજરાતના પ્રતિનિધિત્વને મહત્વ મળ્યું છે. નવી ટીમમાં અનુભવી નેતાઓ અને નવા ચહેરાઓનું સંયોજન રાખવામાં આવ્યું હોવાનું પાર્ટી સંબંધિત અહેવાલોમાં જણાવાયું છે.

BJPમાં સંગઠનનું નવું સમીકરણ

નીતિન નબિનની નવી ટીમને આગામી વિધાનસભા ચૂંટણી અને 2029ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ સંગઠનાત્મક ફેરફાર તરીકે જોવામાં આવી રહી છે. અનુભવી નેતાઓને ફરી મહત્વની જવાબદારી આપવાની સાથે યુવા નેતાઓને પણ આગળ લાવવામાં આવ્યા છે. હવે નવી ટીમ ભાજપના સંગઠન અને ચૂંટણીની તૈયારીઓને કેવી દિશા આપે છે તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે.